રાઘવજી માધડ: હું આવતા દશેરા સુધી તારી પ્રતીક્ષા કરીશ...

અશોકનાં પલ્લવી સાથે સામાજિક રીત-રિવાજ પ્રમાણે લગ્ન થયાં છે, છતાં પલ્લવી દશેરાએ આણાના પ્રસંગે સાસરે જવાની ના પાડીને ઊભી! 

દશેરાના દિવસે ઘોડું દોડવું જોઇએ પણ દોડ્યા વગર જ અટકીને ઊભું રહ્યું. તેથી અશોક માટે એક સરળતાથી ઉકેલી ન શકાય તેવી સમસ્યા સર્જાઇ. નવપરણેતર પલ્લવી પરીક્ષાનું બહાનું ધરીને ઊભી રહી. આણું વાળવાનું અટકી પડ્યું. જાન લીલા તોરણે પાછી આવે તેમ અશોકનો પરિવાર પલ્લવીનું આણું વાળ્યા વગર, ખાલી હાથે પાછો ફર્યો.

દરેક સમાજને પોતીકી પરંપરાઓ, રીતરિવાજો અને આગવા વ્યવહારો હોય છે. જેનાથી સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું જતન અને સંવર્ધન થતું હોય છે. હા, નડી રહેલી અને સડી ગયેલી પરંપરાઓને તોડવી જોઇએ, નવી ધારાને જોડવી જોઇએ. પણ કોઇ જ કારણ વગર અથવા તો પોતીકા પ્રશ્નના લીધે સમગ્ર પ્રથાને વગોવવી કે તોડવી બરાબર નથી.

અશોકનાં પલ્લવી સાથે સામાજિક રીત-રિવાજ પ્રમાણે લગ્ન થયાં છે. આમ છતાં ખરા ટાણે તે નનૈયો ભણીને ઊભી રહી. વહુ આણું વળીને આવે નહીં તે ઘરની સમાજમાં ભારે ફજેતી થતી હોય છે.જિંદગીના ઘણા પ્રસંગો સમય સાથે જોડાયેલા હોય છે. જેમ લગ્નટાણે ગીતો અને મરણ ટાણે મરશિયા ગાઇ શકાય તો જ તેની સાર્થકતા છે. જે દિવસે, જે કામ થવાનું હોય તે થવું જ જોઇએ. અવધિ વહી ગયા પછી તે કામ કે પ્રસંગ કરવામાં આવે તો તે નિરર્થક બની જાય છે. ક્યાંક યુવાનો આદર્શ કે એડવાન્સપણું દાખવવા આવા રિવાજો તોડતા હોય છે. મોડર્નયુગમાં આપણે સ્વીકારી લઇએ પણ તોડવાનાં કારણો સધ્ધર અને સક્ષમ હોવાં જોઇએ. અન્યથા રિવાજના બદલે દિલ તોડવાનું બનતું હોય છે. 

સામાન્ય રીતે તો હવે લગ્ન સંસ્કાર સંપન્ન થયા ત્યારે જ સઘળા પ્રસંગો સમેટાઇ જતા હોય છે પણ પલ્લવીના પરિવારે આણું વળાવવાનું બાકી રાખ્યું હતું. તેમાં આર્થિક અને પલ્લવીના અભ્યાસનું બહાનું આગળ ધરવામાં આવ્યું હતું. સૌએ સ્વીકારી લીધું. જ્ઞાતિના રિવાજ મુજબ દિવાળી પહેલાં અથવા તો દશેરાના દિવસે આણું વાળી દેવામાં આવશે તેવું માની લીધું હતું. પણ પલ્લવી આણાંત બનવાના બદલે હાથ ઉલાળીને ઊભી રહી. તેનાં મમ્મી-પપ્પા પણ લાચાર થઇ ગયાં. તેમનું કહેવું હતું કે, મહેમાન આવ્યા પહેલાં તારે ના પાડવી હતી. હવે તો અમારું નાક વઢણું થયું કહેવાય. અમે કોઇને મોં બતાવવા લાયક નહીં રહીએ! પણ પલ્લવીને તેની પરવા નહોતી.

આજે ઘણી જ્ઞાતિઓ એવી છે કે તેઓ શિક્ષિત અને સમજદાર હોવા છતાં તેમની પરંપરાઓને તોડવા કે છોડવા તૈયાર નથી અને ચુસ્તપણે અનુસરે છે. પણ નવી પેઢી કે આજનો આધુનિક યુવાન પડકાર ફેંકીને કહે, આ બધું શું કરવા?

રિવાજ પ્રમાણે પલ્લવીના પિયર તરફથી મોટો કરિયાવર આપવામાં આવ્યો. અશોક માટે સમસ્યા સર્જાણી હતી કે ટુ બીએચકે ના ફ્લેટમાં સામાન સાચવવો ક્યાં!? અને હવે તો અશોકને એમ થાય છે કે કરિયાવરમાં સામાન નહીં સમજ અને સંસ્કારનું ભાથું આપવાની જરૂર હતી. જેમ પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં લક્ષણ બારણામાં એમ પલ્લવી પહેલેથી જ પરખાઇ ગઇ હતી. અભ્યાસ કરતાં અપેક્ષાઓ વધારે હતી. ભણતર કરતાં ગણતર ઓછું હતું. પિતા અને પતિના ઘર વચ્ચેનો ભેદ સમજાયો નહોતો. 

પરિવાર સાથેનું અતડાપણું અને મોબાઇલ પર લાંબી લાંબી વાતો કરવી... પલ્લવીની આ ટેવ કોઇને પરવડે તેમ નહોતી. અશોક આશાવાદી છે. સમય જતાં પલ્લવી સેટ થઇ જશે. પલ્લવીનાં કોઇ અંગત કારણો હશે... માની લઇએ પણ તે સાસરિયે આવી નહીં અને એક સમસ્યા બનીને ઊભી રહી.

દશેરાના આણા પૂર્વે ઘણા દિવસો સુધી પલ્લવીએ ફોન ઉપાડ્યો જ નહોતો. તેનાં મમ્મી જવાબ આપીને કહેતાં: ‘પલ્લવી આરામમાં છે, એકઝામની તૈયારી કરે છે વગેરે વગેરે...’

અશોકના પરિવારે પલ્લવી માથે ચોકડી મારી દીધી છે. દશેરાના દિવસે જ ઘોડું ન દોડે તે હવે શું કામનું? પણ અશોકના મનમાં સાવ જુદું જ ચાલે છે. દશેરા અને તે પૂર્વેની નવરાત્રિ એ અંધકારને દૂર કરનાર પ્રકાશનું પર્વ છે. તેથી તે પલ્લવીને ફોન કરીને કહેવાનો છે: ‘પલ્લવી! સ્ત્રી માટે મેરેજ એ ટર્નિંગ પોઇન્ટ છે. લગ્ન એ જિંદગીનો લાજવાબ વળાંક છે... સંભાળીને ચાલવું પડે. બાકી ડાયવોર્સ એ તારી અને મારી સમસ્યાનું નિરાકરણ નથી. શાંત ચિત્તે વિચારી લેજે. મને આવતા દશેરા સુધીની પ્રતીક્ષા ગમશે...’

Comments