રાઘવજી માધડ: મારો પ્રભાવ અને તારો સ્વભાવ એક નહીં થાય

 પરાગીના ગયા પછી હું ફૂલકદના આયના સામે ઊભો રહી મને જ કોઇ મુગ્ધાની માફક જોવા લાગ્યો હતો.

એક બાજુ અફાટ રણ છે અને બીજી બાજુ ખળખળતું ઝરણ છે. બરાબર વચ્ચે આવીને હું ઊભો છું. હવે કઇ તરફ ગતિ કરવી તે હું નક્કી કરી શકતો નથી. મને એમ થયા કરે છે કે ના, આ મારો મુકામ નથી. મારી આકાંક્ષા તો ક્ષિતજિને પેલે પાર પહોંચવાની છે, અહીં બંધાઇ અને ગંધાઇ જવાનું નથી.

ભલે હું બહારથી સ્થિર અને સ્વસ્થ લાગું પણ ખરેખર તો અંદરથી સાવ ડહોળાઇ ગયો છું. કાચની માફક તૂટી ગયો છું. આમ જ લાંબું ચાલશે તો અનંગ દલાલનું કોઇ અસ્તિત્વ જ નહીં હોય આ જગતમાં! આ સમસ્યા કેમ સર્જાઇ તેની મારે માંડીને વાત કહેવી પડશે: ‘પરાગી નામની કોલેજિયન યુવતીએ મારા જીવનમાં પ્રવેશ કર્યો. શાંત સરોવરમાં કાંકરીચાળો નહીં પરંતુ પથ્થર પડે એમ ચિત્તતંત્રમાં વમળો પેદા થવા લાગ્યાં. હજુ તો હું કાંઇ સમજું, આ સ્થિતિને પામું તે પહેલાં તો તેણે મારી સ્થિર, ગંભીર જિંદગીમાં સીધો જ ભૂસકો માર્યો... હું સમગ્રપણે અસ્તવ્યસ્ત થઇ ગયો.’

ખરું કહું તો મારા જીવનની ડિકશનરીમાં પ્રેમ નામનો કોઇ શબ્દ જ નહોતો. આમ મારા ધીર-ગંભીર સ્વભાવના લીધે સામેનું પાત્ર પ્રેમાયણનો પ્રયાસ જ ન કરે, પણ આ છોકરીએ મારા પાષાણ હૃદયને પીગળાવી દીધું. સાવ પ્રવાહી જેવું કરીને ઝરણાની જેમ વહેતું કરી દીધું. હું તો પ્રેમનાં મધુરાં ગાન ગાવા લાગ્યો!

મારી કારકિર્દી ઘડવામાં મેં પાછું વાળીને જોયું નહોતું. લક્ષ્ય સિદ્ધિ માટે મેં મારી યુવાનીને ખરચી નાખી છે. આમ તો મારો ગોલ હતો આઇ.એ.એસ.ની કેડરમાં સિલેકટ થવાનો પણ ગેસ કેડરમાં કલાસવનની સારી પોસ્ટ પર સ્થિર થઇ શક્યો છું, પણ આ છોકરીએ તેના પ્રેમ થકી મને સાવ આકુળ-વ્યાકુળ કરી મૂક્યો છે.

જીવનમાં કોઇ પાત્રનો આમ પ્રવેશ થાય, અરે... શરીરમાં દવાનો પ્રવેશ થાય અને તેની કાંઇ જ અસર ન થાય તો સમજવું કે કશુંક ખોટું છે. બાકી, પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી, નહીં હોગી તો સમજના તેરી કહીં કસર હોગી! પ્રથમ સંપર્કમાં અને પછી ગાઢ પરિચયમાં આવનાર આ છોકરી મારાથી તેર વર્ષ નાની છે. તેને હું ગમી ગયો છું એટલું જ નહીં તેના દિલમાં વસી ગયો છું... ને આ દ્દિધાભરી સ્થિતિ નિર્માણ પામી છે. તેણે ફર્સ્ટકલાસ સાથે ગ્રેજયુએશન પૂર્ણ કર્યું છે. કોઇ ઓપન યુનિવર્સિટીમાં કશાકનો કોર્સ કરે છે પણ તેને કલાસવન અધિકારી થવું છે... તેથી ગાઇડન્સ માટે મારા પાસે આવતી હતી. દરેક યુવા-યુવતી મહત્વાકાંક્ષી હોય અને હોવાં જ જોઇએ.

મને ઓફિસે મળવા આવતી હતી પણ પછી કહ્યું હતું કે, મારા ક્વાર્ટર પર આવે તો સમયની અનુકૂળતા રહે. હા, ખાસ ચોખવટ કરી હતી- હું એકલો જ રહું છું. કોઇને સાથે લઇને આવે તો પણ મને વાંધો નથી. તો હસીને કહે: ‘સર! હું એટલી નાદાન ક્યાં છું તે એકલી આવી ન શકું!?’

જાહેર પરીક્ષાઓ માટે શું વાંચવું, કેવી રીતે તૈયારી કરવી... મટિરિયલ્સ ક્યાંથી ઉપલબ્ધ થશે આવું હું તેને સમજાવતો. સાથે સાથે મારા અનુભવો પણ કહેતો. એક વખત ઊભા ઊભા કહે: ‘સર! તમારું આ...આ... બધું ખૂબ જ ગમે છે.’ પરાગીના ગયા પછી હું ફૂલકદના આયના સામે ઊભો રહ્યો હતો. હું મને જ કોઇ મુગ્ધાની માફક જોવા લાગ્યો હતો અને પછી એમ જ બોલી જવાયું હતું: ‘મારું બધું જ મિન્સ વાણી, વ્યક્તિત્વ ગમે છે તે હું.. અનંગ દલાલ નથી ગમતો!!?’

કપડાંનો મને પહેલેથી જ શોખ કે સરસ કપડાં, સુંદર રીતે પહેરવાં તે મારી ટેવ છે. આમ અપ ટુ ડેટ રહેવું મને ગમે છે. તેમાં હું ક્યારેય બાંધછોડ કરતો નથી, કારણ કે હવે હું પબ્લિક પ્રોપર્ટી જેવો છું, જાહેર મિલકતને સારી અને સુઘડ રીતે રાખવાની આપણી નાગરિક તરીકેની પવિત્ર ફરજ છે! આ છોકરી મારામાં લપસી પડી છે તેવો ખ્યાલ આવતાં જ હું તેની સાથેનો વ્યવહાર સાવ ઓછો કરવા લાગ્યો હતો. છતાંય તે કોઇ બહાનું શોધીને મારા ક્વાર્ટર પર આવી જાય, ફોન કરે, એસએમએસ મોકલાવે...

ટૂંકમાં મને તેના માટે સતત એંગેજ રાખે. છતાંય સાવ સાચું તો એ છે કે મને જ તે છોકરી વગર ગમતું નથી. તેના વગર મને ખાલીપો ઘેરી વળે છે. થાય છે કે આ જગતમાં મારું કોઇ જ નથી. હું સાવ એકલો-અટૂલો જ છું અને જીવનમાં કોઇ જ ન હોય તો આ બધાનો કશો જ અર્થ નથી. નોકરી, હોદ્દો, મોભો, પૈસો... ચારેબાજુની ખુશામત બધું જ વ્યર્થ. એક વાત તો હું સારી પેઠે સમજું છું કે, અંતે આ બધું ઉત્તમ અને બહેતર જીવન માટે જ છે.

મેરેજનો પ્રસ્તાવ લઇને સામે ઊભી રહી. મેં કહ્યું: ‘છોકરી તને થપ્પડ મારીને કાઢી મૂકીશ!’ તો કહે: ‘ઘરમાંથી કાઢી મૂકશો, દિલમાંથી કાઢી નહીં શકો...’ માની લેવું પડ્યું. તેની વાત સોળ આના જેવી સાચી હતી, પણ સમસ્યા એ હતી કે તેની અને મારી વચ્ચે રહેલો ઉંમરનો તફાવત તેર વરસ પછી પણ એટલો જ રહેવાનો છે. કોઇ કહે લગ્નમાં પુરુષને ઉંમરનો બાધ હોતો નથી. માની લીધું પણ પુષ્પ બરાબરનું ખીલ્યું હોય અને સામે છોડ સાવ કરમાઇ ગયો હોય તો તેનું પરિણામ શું આવે!? આ બધી બાબતોને એક બાજુ રાખો... પરાગી મારી શિષ્યા સમાન છે અને હું એક માર્ગદર્શક એટલે કે ગુરુજીની ભૂમિકામાં છું. સમાજ આ સંબંધને ધિક્કારશે, વિશ્વાસઘાતનો વસવસો અનુભવશે!

મને કશું જ સૂઝતું નથી. અજવાળું શોધવા આંખો બંધ કરું છું તો નર્યું અંધારું જ ભાસે છે. બીજી બાજુ પરાગીએ મારા રૂંવેરૂંવે વ્યાપી જઇને, મારા અસ્તિત્વનો સાક્ષાત્કાર કરાવ્યો છે. એક બાજુ મારી સમજદારી અને બીજી બાજુ મારી જવાબદારી... સાચ્ચે જ હું રણ અને ઝરણની વચ્ચે અટવાઇને ઊભો છું. એક ક્ષણે તો એમ પણ થાય છે કે આ આખી સ્થિતિને સમય પર છોડી દઉં. સમયને તેનું કામ કરવા દેવું... જે પરિણામ આવે તે સહજ અને સહર્ષ સ્વીકારી લેવું.

બીજું એ પણ સૂઝે છે કે પરાગીનાં મમ્મી-પપ્પાને નિરાંતે મળું, હકીકત જણાવું અને પછી તેની રૂબરૂમાં જ કહું: ‘પરાગી! આમ પ્રભાવિત થવું તે તારો સ્વભાવ છે પણ બંધાઇને ગંધાઇ જવું તે તારો કે મારો સ્વભાવ નથી. બસ, આટલી વાતમાં સમજી જા!’

Comments