રાઘવજી માધડ: મનને જીતવું બહુ અઘરું હોય છે

અશોક! તમે ફરી એક વખત મને વિચારોના વમળમાં નહીં પરંતુ વિચારોના વૃંદાવનમાં રમતી મૂકી છે!

‘મને તારી પ્રતીક્ષા કરવાનું ગમે છે... આમ કહીને સાચ્ચે જ તમે મારું દિલ જીતી લીધું છે. એક પતિ તરીકે પત્નીના તનને જીતવું સરળ હોય છે પણ મનને જીતવું બહુ અઘરું હોય છે. જીવનભર જે મેળવી ન શકાય તે તમે ક્ષણમાં હાંસલ કરી લીધું છે. આમ પણ સ્ત્રી પ્રેમ અને લાગણીની જ તરસી હોય છે...’ પલ્લવી સ્વગત બોલી: ‘અશોક! તમે ફરી એક વખત મને વિચારોના વમળમાં નહીં પરંતુ વિચારોના વૃંદાવનમાં રમતી મૂકી છે!’

ગત વીકમાં જોયું હતું કે પલ્લવીએ પરંપરા તોડીને સાસરિયાં પક્ષને કફોડી સ્થિતિમાં મૂકી દીધો હતો. હકીકત એવી છે કે પલ્લવી લગ્નપૂર્વે જ એક યુવક સાથે પ્રેમસંબંધ ધરાવે છે. આ સંબંધના પાયામાં પણ નાની-મોટી મદદ અને જરૂરિયાત જ ધરબાયેલી છે. પલ્લવી મધ્યમ પરિવારની પુત્રી અને યુવક પૈસાદાર બાપનો નબીરો. સાથે હરવું-ફરવું... આ બધું પ્રેમના નામે દબાવ કે ઉપકારના પ્રવાહમાં પથ્થરની માફક વહેવા લાગ્યું હતું. પલ્લવી એ યુવક સાથે તન-મનથી જોડાઇ ગઇ હતી.

તેથી અન્ય કોઇ સાથે લગ્નસંબંધ માટે તૈયાર નહોતી, પણ પલ્લવીનાં મમ્મી-પપ્પાને આ બાબતની ખબર પડી ગઇ હતી તેથી યેનકેન પ્રકારેણ પલ્લવીના હાથ પીળા કરી દેવા માગતાં હતાં. તેમાં તેઓ સફળ થયાં હતાં. પલ્લવી અને તેના યુવક મિત્રે એમ વિચાર્યું હતું કે મા-બાપની મરજી મુજબ મેરેજ કરી લેવા, પછી ડાયવોર્સ લેવા માટે જે કરવું પડે તે કરવું... ખેલ ખતરનાક હતો. મેરેજ એ તેમને મન એક રમત છે, ઢીંગલા-ઢીંગલીનો ખેલ છે. યુવકે પલ્લવીને કહ્યું હતું: ‘પલ્લવી! તારા સમાજમાં દશેરાના દિવસે આણું વાળવાનો રિવાજ છે. તું ના પાડીશ એટલે ડાયવોર્સનો માર્ગ સાવ મોકળો થઇ જશે. 

પછી આપણને આમ સાથે રહેતા કોણ રોકી શકશે!’ પલ્લવીએ સવાલ કર્યો હતો: ‘સાથે રહેવાનું એટલે...?’ ત્યાં પેલા યુવકે તુરંત જ જવાબ આપતાં કહ્યું હતું: ‘સાથે રહેવું એટલે રિલેશનશિપ... મેરેજના મહાયુદ્ધમાં આપણે નથી પડવું.’ આવા નાજુક સંબંધોમાં સામેના પાત્રની દરેક વાત સારી અને સાચી લાગતી હોય છે. પલ્લવીએ પરિવારના દબાણને વશ થઇ અશોક સાથેના લગ્નસંબંધ સ્વીકારી લીધો હતો, પણ પલ્લવીને રહેવું જ ક્યાં હતું!? બખેડા કરી પલ્લવી તેની યોજનામાં સફળ થઇ હતી.

આમ છતાં અશોકે કહ્યું હતું: ‘જિંદગીના આ લાજવાબ વળાંક વિશે તું વિચારી જો.તારી પ્રતીક્ષામાં મહાલવું મને ગમે છે!’ હવે શું કરવું? હૃદયના તારેતારમાં ઝણઝણાટી વ્યાપી ગઇ હતી. વહિ્વળ કરી મૂકી હતી. પોતાના અફર નિર્ણયને પણ ફેરવવો પડે તેવી કક્ષાએ લાવી મૂકી હતી. જીવનનાં ઘણાં સ્ટેન્ડ એવા હોય છે કે ત્યાં ઊભા રહી શકાતું નથી. આગળ વધી શકાતું નથી અને પાછા ફરવું તો લગભગ અશક્ય હોય છે. પલ્લવીની પોતાની ગતિ તો નિશ્વિત છે પણ વચ્ચે ઇજજતભર્યું ઇજન લઇને અશોક ઊભો છે કે જેની સાથે સપ્તપદીના ફેરા ફર્યા છે. અગ્નિની સાક્ષીએ જીવનભરનો સંગાથ કરવાના શપથ લીધા છે!

કાર્ય કરતા પૂર્વે કે નિર્ણય લેવા સમયે વિચારે તે બુદ્ધિશાળી માણસ ગણાય પણ પાછળથી વિચારે તે મહામૂર્ખની જમાતમાં ખપે. પલ્લવી સદ્નસીબ છે કે તેને ફેરવિચારણા કરવાની તક મળી છે. તે લાંબું વિચારે છે અને નક્કી કરે છે કે રિલેશનશિપ ધરાવતા તકવાદી અને તકલાદી સંબંધોનું આયુષ્ય લાંબું હોતું નથી. સુખની અપેક્ષાએ આરંભ થાય છે અને દુ:ખનું દેવું કરીને અંત આણે છે.

‘મારા પ્યારા પતિદેવ! હવે તમારે લાંબો સમય પ્રતીક્ષા નહીં કરવી પડે, હું આવું છું, સામે ચાલીને આવું છું...’ આમ કહીને પલ્લવી એક જાતનો હાશકારો કે છુટકારો મેળવીને ઊંઘી ગઇ.

સૂર્યોદય થતાંની સાથે પલ્લવીએ સેલફોન હાથમાં લીધો. અશોકને જોડ્યો અને કહ્યું: ‘ગુડ મોર્નિંગ!’ પછી મન કાઠું કરીને બોલી: ‘સોરી... મારી પ્રતીક્ષા પર પૂર્ણવિરામ મૂકી દેશો, કારણ કે તમારી વફાઇ અને મારી બેવફાઇ સાથે શ્વસી ન શકે. બીજું કે તમારી સમજ અને ઉદારતા જોતાં હું તમારા જીવનસાથીને લાયક નથી. હું જે રસ્તે છું... તેનું પરિણામ મારે ભોગવવું જ રહ્યું. મારી દશા કે દુર્દશા ઘણી યુવતીઓને આંખ ઉઘાડનારી હશે... બાય અશોક...!’ 

Comments