રાઘવજી માધડ: જિંદગી શ્વાસ અને વિશ્વાસની રમત છે

અવધને બ્લડ કેન્સર છે. તે હવે આ પૃથ્વી પર થોડા સમયનો મહેમાન છે. મૃત્યુ નિશ્વિત છે, પણ મૃત્યુ કરતાં તેનો ભય વધારે ભયાનક હોય છે. કાચા-પોચા હૃદયના માણસો તો, આવું સાંભળીને જ મરી જતા હોય છે. હા, તેની ચિતા સળગાવવામાં વહેલા મોડું થતું હશે!

ગરવા ગિરનારની એક ટોચ પર આવીને અવધ ઊભો રહ્યો. પછી વિસ્મય અનુભવતા તેણે ચારે બાજુ જોયું. પ્રકૃતિનો અદ્ભુત નજારો મનને પ્રફુલ્લિત કરી ગયો. ભવનાથની તળેટીમાં ઊભા રહીને જોયું હતું તો નાખી નજર ન પહોંચે તેવો ઊંચો લાગતો હતો ગિરનાર, પણ અત્યારે તો પોતાના સિવાય સઘળું નાનું અને વામણું લાગે છે!

પૂવૉકાશમાં સોનેરી કિરણો પ્રસરી રહ્યાં હતાં. ધુમ્મસ ઓગળી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટા, કોઇ ષોડસીને સિસોટી મારતા હોય એમ તીણા અવાજ સાથે વાતા હતા. અવધ પ્રકૃતિનું આવું સૌંદર્ય જોઇને ભાવવિભોર થઇ ગયો. આનંદની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી તે આહાહા... કરતો, ગાંડા માણસની જેમ હસવા લાગ્યો. ત્રણ-ચાર મિનિટ પછી તેની આંખોમાં આંસુ આવ્યાં. સૂર બદલાયો... હસવાનું, રડવામાં ક્યારે બદલાઇ ગયું તેનું અવધને ભાન રહ્યું નહીં. માતાના ખોળામાં બાળક રડતું હોય તેમ તે પ્રકૃતિના ખભે માથું ઢાળીને હૈયાફાટ રડતો હતો.

અવધ તેજસ્વી અને હણહણતા તોખાર જેવો સ્ટ્રોંગ યુવાન છે. એમ.એસ.ડબ્લ્યુ.ના ફાઇનલ યરની એકઝામ આપવી બાકી છે. જિંદગીને નવતર ઘાટ આપવાની તેની એષણા છે. ચીલાચાલુ કે રુટિન લાઇફ કરતાં જરા જુદું જીવવું તેવું તેના મનમાં છે. જે વ્યક્તિ પોતાની જિંદગીને જેટલું મહત્વ આપે એટલી જ તેની જિંદગી મહત્વપૂર્ણ બને. અવધ સમજે છે કે માનવનું સર્જન એ ઇશ્વરનું શ્રેષ્ઠતમ સર્જન છે. તેની એક એક ક્ષણ અમૂલ્ય છે. પણ તેની જિંદગીરૂપી મોબાઇલમાં રિચાર્જની ફેસિલિટી જ નથી અને આયુષ્યનું બેલેન્સ સાવ ઓછું છે!

અવધને બ્લડ કેન્સર છે. તે હવે આ પૃથ્વી પર થોડા સમયનો મહેમાન છે. મૃત્યુ નિશ્વિત છે, પણ મૃત્યુ કરતાં તેનો ભય વધારે ભયાનક હોય છે. કાચા-પોચા હૃદયના માણસો તો, આવું સાંભળીને જ મરી જતા હોય છે. હા, તેની ચિતા સળગાવવામાં વહેલા મોડું થતું હશે!

જીવનની ઘણી બાબતોથી અજાણ હોઇએ તેનો આનંદ અને પ્રભુનો ઉપકાર માનવો જોઇએ. જે સ્થિતિ કે સમસ્યાનો હલ આપણા હાથમાં હોય તેવી આગોતરી જાણ થાય તો અગમચેતીનાં પગલાં લઇ શકાય, પણ જેનો ઇલાજ માત્ર ને માત્ર ઇશ્વર પાસે જ હોય. તેની તો અજાણતા જ સારી.

ઘરમાં અવધના કેન્સરની જાણ થતાં જ સાચે જ મોત ઊતરી આવ્યું હોય તેવું શોકનું વાતાવરણ પ્રસરી ગયું હતું. મૃત્યુનો પડછાયો ઘર અને પરિવાર પર ફરવા લાગ્યો હતો. દરેકની દ્રષ્ટિ મૃત્યુમય હતી. અવધની સામે જુએ તો જાણે અવધ એક હરતી-ફરતી લાશ હોય! અવધને થતું કે, સૌને કહે: ‘હાલ તો હું જીવું છું. તમારા સામે અને સાથે સાક્ષાત્ ઊભો છું તેનો સ્વીકાર કરીને મારી સાથે વ્યવહાર કરો!’

અવધે કોઇને કહ્યા વગર, પરિવારની જાણ બહાર જ ઘર છોડી દીધું છે. આમ ઘર છોડવાનાં કારણો તેની પાસે સ્પષ્ટ હતાં. એક, પોતાનાં મમ્મી-પપ્પા છેલ્લે જાત વેચીને પણ પોતાને જિવાડવા માટેનો મરણિયો પ્રયાસ કરશે. મરણમૂડી નામે શ્વાસ સિવાય સઘળું ખર્ચાઇ જશે. આમ છતાં મોત તો બારણે આવીને ડોરબેલ વગાડતું જ રહેવાનું. તેથી અવધે નક્કી કરી લીધું કે જે ઘટનાનો ભય સતત સતાવતો હોય તેનાથી દૂર ભાગવાના બદલે સામે ચાલીને તેના વધામણા કરવા. 

અને જે આવતીકાલે બનવાનું જ છે તે આજે, આ ક્ષણે જ ભલેને બની જતું! બીજું કે યુવાનપુત્રની નનામીને કાંધ દેવી અથવા તો તેનાં છાજિયાં લેવાં તે કોઇપણ મા-બાપ માટે મોત કરતાં પણ ભૂંડી અને બદતર સ્થિતિ કહેવાય. આવી લાચાર અને કરુણાસભર સ્થિતિમાં મમ્મી-પપ્પાને ન મૂકવાં. મારો દીકરો ક્યાંક જીવતો હશે... તેવા ભ્રમમાં આયખું વેંઢારી નાખે. જીવનના ઘણા ભ્રમ તૂટે નહીં તેનો હરખ હોવો જોઇએ.

અવધ ભારે સમજદાર યુવાન છે. તેણે હકીકતને સ્વીકારી લીધી છે. તેને રડતાં-રડતાં નથી જીવવું પણ હસતાં હસતાં, પ્રસન્નચિત્તે મોતને આવકારવું છે. ઘણા યુવાનો આવેશમાં આવી કે નિરાશ થઇ આપઘાત કરે છે. ઇશ્વરદત્ત અમૂલ્ય ભેટ નષ્ટ કરે છે, પણ ઘણા યુવાનો જિંદગીને ભરપૂર માણે છે. અવધ સમજે છે કે જીવનકાળ એટલે આત્માનું પ્રકૃતિ સાથે ભાવ કે આનંદવિભોર થઇ જવું. તેણે દિવાળી પછી ગિરનારની લીલી પરિક્રમા કરી છે અને પછી તે ભવનાથની તળેટીમાં જ સ્થિર થઇ ગયો છે.

હૈયું હળવું થયા પછી અવધ ધીમે ધીમે પર્વત નીચે ઊતરવા લાગે છે. અત્યારે તેના ચિત્તમાં પરિંદા રમી રહી છે. ડોક્ટરે નિદાન કરીને કહ્યા પછી અવધે સૌથી પહેલું કાર્ય કર્યું હતું તે, ‘પરિંદા! હું બીજી એક છોકરીના પ્રેમમાં છું... મને ભૂલી જા.’ આમ કહેવામાં છાતી ચિરાઇ ગઇ હતી, અપાર વેદના થઇ હતી, પણ બીજો કોઇ વિકલ્પ નહોતો.

આ તો શ્વાસ અને વિશ્વાસનો ખેલ એમ ક્યાં ખતમ થવાનો હતો! અવધ ગિરનારના પગથિયાં ઊતરીને ભવનાથની તળેટીમાં આવે એ પહેલાં જ પરિંદા સામે આવીને ઊભી રહી. વિશ્વાસ ન બેઠો તેથી આંખો પટપટાવી મનમાં થયું કે જે પાત્રની સતત રટણા કરતાં હોઇએ તે કોઇપણ સ્વરૂપે સામે પ્રગટતું હોય છે!

‘અવધ...’ કહીને પરિંદા રીતસરની વળગી ગઇ. ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી. પછી બોલી: ‘તું કહે ભૂલી જા એટલે મારે ભૂલી જવાનું!? અને તું મોત નામની યુવતીના પ્રેમ છો તે હું જાણું છું, ડોક્ટર પાસેથી જાણી લીધું છે’અવધ ભીની આંખોએ પરિંદા સામે જોતો રહ્યો.

‘અવધ!’ પરિંદાએ કહ્યું: ‘હું સતી સાવિત્રી નથી કે યમરાજને પાછો વાળું... પણ જે સમયની સિલક તારી પાસે છે તે સમય સાથે રહેવું છે, સાથે જીવવું છે. કારણ કે કેટલું જીવ્યાં કરતાં કેવું જીવ્યાં તેનું મહત્વ છે.’અવધ પાસે પરિંદાને કહેવા માટે શબ્દો નહોતા. તે મૌન થઇ ઊભો રહ્યો. 

પરિંદાએ કહ્યું: ‘આનંદ અને પ્રકૃતિની દેણગી છે કે તે રોગને કાબૂમાં રાખે!’ ક્ષણભર અટકીને તે બોલી: ‘આમ છતાં તારા અભાવમાં આ વૃક્ષને, તેનાં પર્ણને, ઝરણાંને, પવનને પૂછીશ, મારો અવધ તમારામાં હેમખેમ છેને!?’

Comments