ડૉ. શરદ ઠાકર: સોચા થા કિ માર દેગી ગમ કી ધૂપ હમેં

ભાઇ, તમારાં પત્નીને તો બેય બાજુ મોતની ઘાત જેવું છે. એમનું એપેન્ડિસાઇટિસ તાત્કાલિક ઓપરેશન માગે છે પણ એમનાં હાર્ટમાં જન્મથી જ મોટી ખામી છે.’

જીતેન્દ્રસિંહચુડાસમાનો ફોન આવ્યો, ‘સાહેબ, આવતી કાલની તમારી એપોઇન્ટમેન્ટ જોઇએ છે. તાકીદનો મામલો છે. બોલો, પેશન્ટને લઇને ક્યારે આવીએ?’ભડિયાદના આ રાજપૂત મિત્રનો ફોન હોય એટલે તાકીદનો મામલો જ હોય. મેં સમય આપી દીધો, ‘કાલે સાડા અગિયાર વાગે આવી જાવ.’જીતેન્દ્રસિંહએ એમનું બર્થ સર્ટિફિકેટમાં લખાયેલું નામ. મારા માટે તો એ જીતુભા. પાતળા એકવડિયા બાંધાના, દિલદાર ક્ષત્રિય મિત્ર. પાતળી અણીદાર મૂછ. પાણીદાર આંખો. એને જોઇને દુશ્મનને કદાચ લઘુશંકા થઇ જાય, પણ મને જોઇને એ આંખોમાં મૈત્રી, આદર અને પ્રેમના ત્રિવેણી સંગમ જેવું હાસ્ય ખીલી ઊઠે.

બીજા દિવસે જીતુભા કીધેલા સમયે આવી પહોંચ્યા. સાથે બીજા એક મિત્ર હતા. જીતુભાના ચહેરા પર ચિંતાના ચાસ પડેલા હતા. ‘સાહેબ, આ મારા મિત્ર છે. શક્તિસિંહ ચુડાસમા. એમનાં ઘરવાળાંને બહુ મોટી તકલીફ થઇ ગઇ છે. જિંદગી અને મોતનો મામલો છે. રાજકોટમાં દસ દા’ડા હેરાન-પરેશાન થઇને ના છુટકે અહીં આવ્યા છીએ. વરસો પહેલાં તમે ‘ડૉ..ની ડાયરી’માં સ્પોટ ડાયગ્નોસિસનો એક એપિસોડ લખ્યો હતો. તમને યાદ છે?’‘મને તો યાદ હોય જ ને!’ મેં કહ્યું.

‘મને પણ યાદ છે. બસ, આ રાજુલબાના કેસમાં તમારે એવું જ કરી દેખાડવાનું છે.’ આટલું કહીને જીતુભાએ એક દળદાર ફાઇલ મારા ટેબલ ઉપર મૂકી દીધી.ધોલેરા પંથકનું ભડિયાદ આમ તો એના ઉર્સ માટે દેશભરમાં પ્રખ્યાત છે પણ મારી અંગત જિંદગીમાં એ રાજપૂતી રખાવટની રાજધાની સમું કેન્દ્ર છે. ત્યાંના ચુડાસમા દરબારો સાથે ભાઇબંધ જેવા નહીં પણ ભાઇ-ભાઇ જેવો સંબંધ બંધાઇ ગયો છે. 

દર વરસે ઓછામાં ઓછું એક વાર (ક્યારેક ત્રણ વાર) ત્યાંનો દરબારી ડાયરો મને પ્રેમપૂર્વક નિમંત્રે. ગામથી બે કિ.મી. છેટે આવેલું જાંબુડાના હનુમાનજીનું મંદિર અમારું મિલનસ્થાન. વેરાન, ખુલ્લી જગ્યામાં પ્રાચીન મંદિર અને એની ફરતે વિશાળ ખુલ્લી જગ્યા. સાધુ-પૂજારીજીને રહેવાની રૂમો પણ ખરી. ફૂલછોડ અને વૃક્ષોથી ઘેરાયેલી આ જગ્યા તમને કણ્વ ઋષિના સમયનું તપોવન લાગે તો નવાઇ નહીં.

મૂળ ભડિયાદના પણ હાલમાં અમદાવાદમાં સ્થાયી થયેલા અરુણ ત્રિવેદી અને બીજા બે-ચાર મિત્રો સાથે હું નમતી બપોરે નીકળી પડું. ત્યાં પહોંચું ત્યારે સાંજ ઢળી રહી હોય. ભડિયાદના બાપુઓ તો આવકારવા માટે ઊભેલા જ હોય. પછી અન્ય ડાયરાઓ પણ આવતા જાય. લીંબડીના દરબારો ટ્રકમાં બેસીને આવે. મોરબીથી જાડેજાઓ આવે. ભાવેણાના ગોહિલો પધારે. ચુડાથી કેટલાક પટેલ મિત્રો પણ આવી પહોંચે. 

સોથી દોઢસો દરબારો ભેગા મળીને મધ્યકાલીન રજવાડી માહોલ ઊભો કરી દે! દાલ-બાટીનાં જમણ તૈયાર થાય. દૂધ-છાશની નદીઓ વહેવા લાગે. તાણ્ય કરી-કરીને કોળિયા લેવાય અને દેવાય. પછી સાહિત્યની વાતું જામે. મધરાતનો ગજર ભાંગે ને હરણીયું માથા પર દેખાવા માંડે ત્યારે અનિચ્છાએ અમે વખિરાઇએ.

વહેલી સવારે ત્રણ, સાડા ત્રણ કે ચાર વાગ્યે અમદાવાદ તરફ પાછા ફરતી વખતે હું પૂછી લઉં, ‘અરુણભાઇ, દર વખતે આ ક્ષત્રિય મિત્રો આપણા માટે આટલી કાહટી અને આટલો ખર્ચ કરે છે, તો બદલામાં આપણે? મને થાય છે કે એકાદ વખત ભોજનની સ્પોન્સરશિપ મારા તરફથી...’અરુણભાઇ મારી સામે જોઇને આંખ કાઢે, ‘આજે મારી સામે બોલ્યા તે ભલે બોલ્યા! આ બાપુઓ સામે ન બોલશો! આ જીતુભા ને સુરુભા ને આ ઘનશ્યામસિંહ, વિરેન્દ્રસિંહ, દિગ્વિજય.. આ બધાને તમે રેંજી-પેંજી ના સમજતા! એક-એક બાપુ આઠસો-હજાર વીઘા જમીનના માલિક છે.’

‘હું ક્યાં ના પાડું છું? પણ મને એમની એકતરફી મહેમાનગતી ગમતી નથી. એમ થયા કરે છે કે એમના માટે મારાથી શું થઇ શકે?’જવાબમાં અરુણભાઇએ ગાડી ચલાવતાં ચલાવતાં ઉપરની દિશામાં તારોડીયાભર્યા આકાશ તરફ આંગળી ચિંધી, ‘એનો જવાબ ઇશ્વર પાસે છે.’ આજે ઇશ્વરે એ જવાબ આપી દીધો હતો. માત્ર જવાબ નહીં, મોકો પણ આપી દીધો હતો. એ આસમાનમાં બેસીને પડકારભર્યું હસી રહ્યો હતો, ‘લે, તારે દોસ્તીનો વાટકી-વહેવાર ચૂકતે કરવો હતો ને! કરી લે! બચાવ આ રાજુલબાને...!’અને મેં ફાઇલ હાથમાં લીધી.

‘‘‘

જેમ જેમ ફાઇલની અંદરના કાગળો વાંચતો ગયો તેમ તેમ મારો ઉત્સાહ ઠંડો પડતો ગયો. રાજુલબા રાજકોટની એક જાણીતી કોર્પોરેટ હોસ્પિટલમાં દસ દિવસ રહીને આવ્યા હતા. એક કે બે નહીં પણ ઉત્તમ કહેવાતા દસેક નિષ્ણાત ડોક્ટરોના હાથ નીચેથી પસાર થઇને આવ્યા હતા. એકલું હોસ્પિટલનું બિલ જ પચાસ હજાર રૂપિયા ભરીને આવ્યા હતા.

રાજુલબાની મુખ્ય બીમારી એપેન્ડિસાઇટિસનો એક્યુટ હુમલો હતો. કોઇ પણ સામાન્ય સજર્યન માટે આ એક સામાન્ય કેસ ગણાય. દર્દીને બેભાન કરો, પેટ ઉપર નાનો ચીરો મૂકો અને બે મિનિટમાં એપેન્ડિકસ કાઢી લો. રાજકોટના ડોક્ટરોએ પણ આવું જ કરવાનું નક્કી કર્યું. સોનોગ્રાફીની તપાસ કરાવી તો જમણી બાજુના અંડાશયમાં પાણીની ગાંઠ હતી એ પણ જાણવા મળ્યું. બંને ઓપરેશનો સાથે સાથે જ થઇ શકે તેમ હતું.

પણ અંતરાયોનો સિલસિલો અહીંથી શરૂ થયો. બેભાન કરવાના ડોક્ટરે છાતી ઉપર સ્ટેથોસ્કોપ મૂક્યું ત્યારે ખબર પડી કે હૃદયમાં કશીક ગરબડ જેવું છે. તરત જ કેસને કાર્ડિયોલોજિસ્ટના હાથમાં રફિર કરવામાં આવ્યો. રાજકોટના પ્રખ્યાત ફિઝિશિયને જેટલી શક્ય હતી તે તમામ તપાસ કરી લીધી. ‘ઇકો’ પણ કરાવી લીધો. જે જાણવા મળ્યું તે ભયંકર હતું!‘ભાઇ શક્તિસિંહજી! તમારાં પત્ની રાજુલબાને તો બેય બાજુ મોતની ઘાત જેવું છે. એમનું એપેન્ડિસાઇટિસ તાત્કાલિક ઓપરેશન માગે છે પણ એમનાં હાર્ટમાં જન્મથી જ મોટી ખામી છે. એમને એનેસ્થેસિયા આપી શકાય તેમ નથી. 

રાજુલબાને ઓપરેશન થિયેટરમાં લઇ જશો તો એ પાછાં જીવતાં બહાર નહીં આવે! અમે ભારે એન્ટિબાયોટિક્સનાં ઇન્જેકશનોથી હાલ પૂરતી એમની બીમારી દબાવી દઇએ છીએ...પણ...પછી...’આ ‘પણ’ અને ‘પછી’ જેવા શબ્દોમાં શક્તિસિંહને અમંગળ ભણકારા સંભળાયા. એમણે એ જ ક્ષણે રાજુલબાને ઊઠાવી લીધાં. જીતુભાની સલાહ લીધી. બીજા દિવસે મુકામ પોસ્ટ અમદાવાદમાં! ભગવાનને હાજર-નાજર માનીને કબૂલ કરું છું કે આ પેશન્ટને જો ભડિયાદ ગામ સાથે નાતો ન હોત તો મેં હાથ અદ્ધર કરી દીધા હોત! પણ હું બરાબર જાણતો હતો કે જો હું જામીન નહીં થાઉં તો કોઇ સજર્યન આવો અપજશ આપતો કેસ હાથમાં નહીં લે!
મેં મારા પરમ મિત્ર સજર્યન ડૉ.. શૈલેષ શાહને ફોન કર્યો. ‘રાજુલબાને મોકલું છું. ઓપરેશન કરવાનું જ છે. એમનાં જીવને કશું જ થવું ન જોઇએ.’

થોડા કલાકો પછી ડૉ.. શૈલેષભાઇનો ફોન આવ્યો, ‘શરદભાઇ, શી ઇઝ ડાઇંગ! એપેન્ડિકસ તો ક્યારનુંયે પેટમાં ફાટી ગયું છે. પરુ અને મળ અંદર ફેલાઇ ગયાં છે. હાર્ટની તકલીફ તો ઊભી જ છે. હું ઓપરેશન કરવાની હિંમત તો કરું, પણ...એમાં સામાન્ય કરતાં થોડુંક વધારે જોખમ રહેલું છે એટલું તો આ તમારા મિત્રો સ્વીકારશે ને?’‘ના, શક્તિસિંહને એમના પત્ની કેટલાં પ્રિય છે તે એમનો ચહેરો કહી આપે છે. જોખમ એક ચપટીભાર જેટલું હશે તો પણ શક્તિસિંહ નહીં સ્વીકારે. 

જીતુભા નહીં સ્વીકારે અને હું પણ...’કાર્ડિયાક સજર્યન ડૉ.. સુકુમાર મહેતાએ રાજુલબાનાં હૃદયની જવાબદારી પોતાના માથે લીધી. ઓપરેશન થિયેટરમાં ત્રણ નિષ્ણાત એનેસ્થેટિસ્ટ ડોક્ટરોની પેનલની દેખરેખ નીચે ડૉ.. શૈલેષ શાહે એપેન્ડિકસ કાઢી આપ્યું અને મેં અંડાશયની ગાંઠ કાઢી આપી. રાજુલબાના પેટની અંદરની હાલત બયાન કરવા જેવી નથી. બહાર નીકળીને મેં ચિંતાતુર ઊભેલા જીતુભાને આટલું જ કીધું, ‘રાજુલબા યમરાજાના બારણે ટકોરા દઇને પાછાં આવ્યાં છે. બોલો, એમનાં પુર્નજન્મની ઊજવણી ક્યાં રાખવી છે?’જીતુભા અને શક્તિસિંહ બેયની આંખોમાં એક સરખા પાણી હતા ને હોઠો પર એક્સરખો જવાબ હતો, ‘ઊજવણી માટે આવી જજો, જાંબુડાના મંદિરમાં. મુકામ-પોસ્ટ: ભડિયાદ!’

(સત્ય ઘટના)

Comments