સત્યઘટના:માલેતુજાર મિત્રોએ ઉજ્જવળ કારકિર્દી પર લગાડ્યો ડાઘ!



 
- વર્દીધારીઓની સગવડીયા કડકાઈનો કિસ્સો - ઉજ્જવળ શૈક્ષણીક કારકિર્દી પર લાગેલાં ડાઘથી માનસિક આઘાતનો ભોગ બનેલો અનુપ સ્વસ્થ થશે?કદાચ જીવનભર એ આ ઘટના નહીં ભૂલે. અત્યારે પણ એ આઘાતથી દિગ્મૂઢ છે. એને પૂછે એટલું જ બોલે છે. બાકીનો સમય પોતાની સ્ટડીરૂમમાં જ પુરાયેલો રહે છે.

અનુપ નામ છે એનું. પશ્ચિમ વિસ્તારની એક સોસાયટીના નાનકડા મકાનમાં રહેતા મધ્યમવર્ગના પરિવારનો એ મોટો દીકરો. રાજ્યના બીજા છેડે એક ઔધ્યોગિક એકમના પ્લાંટમાં ફરજ બજાવતા પિતા મહિનામાં એકાદ-બે વાર વડોદરા આવે. બાકીનો સમય માતા અને નાનો ભાઇ એમ મળી ત્રણનો પરિવાર અહીં રહે.દીકરાઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવાના હેતુથી અનુપને છેક એના બાલ્યકાળથી વડોદરાના પશ્ચિમ વિસ્તારની એક પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ કરાવ્યો હતો. જોતજોતામાં વર્ષોનાં વહાણાં વાયાં અને આ વર્ષે જ અનુપે બારમા ધોરણની પરીક્ષા આપી.

પશ્ચિમ વિસ્તારની અંગ્રેજી મિડિયમની અત્યંત પ્રતિષ્ઠિત શાળા હોવાને કારણે શહેરના લગભગ તમામ અગ્રણી ઉદ્યોગપતિઓ, તબીબો, ધારાશાસ્ત્રીઓ અને રાજકારણીઓનાં સુધ્ધાં દીકરા-દીકરીઓ આ શાળામાં ભણતાં. એ તમામની જીવનશૈલી અને સ્તર સાથે સ્વાભાવિક રીતે જ મધ્યમવર્ગીય અનુપ બરાબરી કરી શકે એમ નહોતો. અન્ય સહાધ્યાયીઓને જ્યારે મોંઘીદાટ કાર શાળામાં લેવા-મૂકવા આવતી ત્યારે અનુપ સાઇકલ અથવા ખખડધજ સ્કૂટી લઇ શાળાએ આવતો-જતો.

સંપૂર્ણપણે પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલા સહાધ્યાયીઓમાં અનુપ જુદો જ તરી આવતો, પરંતુ એ ભણવામાં હંમેશાં અવ્વલ રહેતો. છેલ્લા લગભગ છ મહિનાથી તમામ મોજશોખ, ઇચ્છા, ઓરતાઓ બાજુ પર રાખી અનુપ ધોરણ ૧૨ની પરીક્ષાની તૈયારીમાં જોતરાઇ ગયો હતો. મધ્યમવર્ગીય માતા-પિતાનું પ્રોત્સાહન-હૂંફ અને અગવડ-સગવડ વેઠીને પણ દીકરાને સારામાં સારું શિક્ષણ અપાવવાની એમની ઉચ્ચ ભાવનાનું એ શ્રેષ્ઠ પરિણામ લાવી ઋણ ચૂકવવા માંગતો હતો.સદ્નસીબે થયું પણ એમ જ.

તાજેતરમાં ધોરણ ૧૨ની પરીક્ષા એણે આપી. સ્વાભાવિક રીતે જ એની મહેનત રંગ લાવી હોવાના આત્મવિશ્વાસ સાથે એ થાક ઊતારી રહ્યો હતો. અન્ય તમામ સહાધ્યાયીઓ માથા પરથી બોજ ઊતર્યાના અહેસાસ સાથે પોત-પોતાના દરજજા અને અનુકૂળતા પ્રમાણે દેશ-વિદેશમાં ફરવા નીકળી પડ્યા હતા.મેડિકલ કે એન્જિનિયિંરગમાં પ્રવેશ મેળવવાનાં સ્વપ્નાં જોઇ રહેલા અનુપને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે, એના જીવનમાં એક એવી ઘટના આકાર લઇ રહી છે કે જે એના માનસિક સંતુલનને હચમચાવી નાંખશે.

બન્યું એમ કે, એક સહાધ્યાયીનો બર્થ-ડે હતો. એણે એના અત્યંત નિકટના એવા ૭-૮ મિત્રોને પોતાના બંગલે પાર્ટીમાં બોલાવ્યા. અત્યંત શ્રીમંત સહાધ્યાયીના બંગલે યોજાયેલી આ પાર્ટીમાં અનુપ પણ હતો.સ્વાભાવિક રીતે જ આવી પાર્ટીઓનો અસંખ્યવાર સાક્ષી બની ચૂકેલો અને એવા જ સંસ્કારો-વાતાવરણમાં ઉછરેલા શ્રીમંત સહાધ્યાયી મિત્રએ શ્રેષ્ઠ પ્રકારના ડ્રિન્કસની પાર્ટી રાખી હતી.

પાશ્વાત્ય સંસ્કૃતિથી રંગાયેલી શાળામાં ભણ્યા છતાં અનુપ મધ્યમવર્ગીય હોવાને કારણે અને ઘરના જુનવાણી સંસ્કારોથી ઘડાયેલો હોવાથી હાર્ડડ્રિન્કસથી અલિ’ રહ્યો. એના મિત્રોએ એની થોડીવાર તો ઠેકડી પણ ઉડાડી.એકાદ પેગથી કંઇ નહીં થાય એમ જણાવી એને પીગળાવવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ અનુપ ડગ્યો નહીં.પાર્ટી બરાબર જામી હતી અને અચાનક કેટલાક લોકોના દોડવાના અવાજ અને હોંકારા-પડકારાથી સૌ ચોંક્યા... એ લોકો કંઇ સમજે એ પહેલાં તો તેમની સામે યુનિફોર્મધારી પોલીસોની એક ફોજ ખડી થઇ ગઇ.આડોશ-પાડોશમાંથી કોઇએ આ પાર્ટી અંગે ફોન કરતાં પોલીસે રેડ પાડી અને એ તમામ લબરમૂછિયા યુવાનોને દારૂ પીતા રંગે હાથ પકડી લીધા.

આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો. પકડાયેલા તમામ આઠ લબરમૂછિયાઓ શ્રીમંત અને મોભાદાર કુટુંબોના કુળદીપકો છે એવું જાણતાં જ પોલીસના મોઢામાં પાણી છુટયું... પહેલાં કડક હાથે કામ લેવાનો દેખાવ કરી પોલીસે ‘‘પતાવટ’’ માટેની પૂર્વભૂમિકા બાંધી. ધીરે-ધીરે સંતાનોના વાલીઓ વાટાઘાટના ર્દશ્યમાં ઉમેરાયા. અંતે પ્રત્યેક દીઠ R૫૦/- હજારમાં‘‘પતાવટ’’ નક્કી થઇ. આ તમામમાં અનુપ તદ્દન નિર્દોષ હતો તથા તેણે એક ટીપું પણ દારૂ પીધો ન હતો છતાં તેની પાસેથી પણ ૫૦/- હજારની અપેક્ષા રખાઇ. ગભરાઇને પોલીસ મથકે દોડી આવેલી અનુપની માતાએ કાલાવાલા કર્યા અને અનુપે દારૂ નહોતો પીધો તેથી તેને છોડવાના રૂ.૨૫/- હજાર નક્કી થયા. મધ્યમવર્ગીય માતાએ આમ-તેમથી એકઠા કરી પૈસા આપ્યા અને હજીરા ખાતે હૃદયરોગથી પીડિત પતિને આ ઘટનાની જાણ ન થાય એની તકેદારી અને કાળજી રાખી. જો કે આઠ પૈકી એકની માલેતુજાર મોટી બહેને પોલીસમથકમાં પ્રવેશ કર્યો અને ર્દશ્ય બદલાઇ ગયું. એણે પોલીસ અધિકારીને કહ્યું, હું પૈસા નહીં આપું... તમે એક નહીં જેટલા કેસ કરવા હોય એટલા કરો... પણ કાલે સવારે તમારા શરીર પર આ વર્દી નહીં હોય... તમે હજુ અમને ઓળખતા નથી... વગેરે... વગેરે...

ક્ષણભરમાં જ પોલીસ અધિકારી માટે હવે પ્રતિષ્ઠા અને અહ્મનો પ્રશ્ન બની ગયો. પોલીસે એફઆઇઆર ફાડવાની તજવીજ હાથ ધરી. આ તબક્કે અનુપની માતાએ અનુપને બાકાત રાખવા વિનંતી કરી અને એના વધારાના રૂ.૨૫/- હજાર ચૂકવ્યા... અલબત્ત મોડી રાત્રે ‘‘પતાવટ’’ સફળ થઇ અને કોઇ સામે જ એફઆઇઆર ન નોંધાઇ. પણ મધ્યમવર્ગીય અનુપના કુટુંબને રૂ.૫૦/- હજારનો ફટકો પડી ચૂકયો હતો.લગભગ આખી રાત પોલીસમથકમાં વેઠેલી યાતના કરતાં કુટુંબની પ્રતિષ્ઠા પર ડાઘ પડ્યો અને આર્થિક જંગી ફટકો પડ્યો એ બાબતથી અવાક થઇ ગયેલો અનુપ ગુજકેટની પરીક્ષા માટેની તૈયારીમાં ફરી જોતરાયો તો ખરો પરંતુ તે મનથી ભાંગી પડ્યો હતો. એની માતાએ ઉછીના લીધેલા R ૫૦/- હજાર પાછા વાળવા પોતાની સોનાની બે બંગડીઓ વેચી દીધાની જ્યારે અનુપને જાણ થઇ ત્યારે એ રીતસર રડી જ પડ્યો.

આજે પણ અનુપ મોટાભાગનો સમય એના સ્ટડીરૂમમાં પૂરાઇ રહે છે. એના પિતાથી છુપાવી રાખેલી આ ઘટના પછી અનુપ સાવ એકલાવાયો રહેવા લાગ્યો છે અને એના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતા કરતાં અને સ્વપ્ન જોતાં માતા-પિતાને હજુ સુધી જાણ નથી કે, ‘ગુજકેટ’ની પરીક્ષા આપવા ઘરેથી નીકળેલા અનુપે પરીક્ષા આપી જ નથી...પોતે નિર્દોષ હોવા છતાં પોલીસોએ તેની સાથે કરેલા વર્તન અને તેની સામે પોતાની લાચારીના અહેસાસે ભાંગી પડેલા અનુપની શૈક્ષણિક કારકિર્દી રળવાના પાપ માટે વર્દીના જોરે લૂંટફાટ કરતા કહેવાતા રક્ષકો જવાબદાર નથી ?

[મોડી રાત્રે નિર્દોષ પર લાઠીઓ લઇ તૂટી પડતા... લારીઓ ઊંધી વાળી દેતા... તેલની કઢાઇઓ... સ્ટવ ફગાવી, વાહનો પર દંડા પછાડતા અને એટીએમના ઉઠાવગીરો, ઘરફોડો સામેની પોતાની નિષ્ફળતા ઢાંકવાના પ્રયાસો કરી પગારદાર યુનિફોર્મધારી ગુંડાઓ જેવું વર્તતા અને ૧૪૪ની કલમ કે કર્ફ્યુંના તાજા જાહેરનામાની નકલ માંગતાં જ અકળાઇ ઉઠતા પોલીસ કર્મીઓને આ સત્યઘટના અર્પણ.]

Comments