લૈલા ખાનની આ નીલી આંખો પાકિસ્તાન માટે નિહાળતી હતી (કભી કભી)



લૈલાખાન અને સલીના પટેલની હત્યા સાથે જ તેમના ટેરરીસ્ટ કનેક્શનનું રહસ્ય દફન થઈ ગયું
લૈલા ખાનનું અસલ નામ રેશમા પટેલ હતું. તે પાકિસ્તાનમાં જન્મી હતી. માંજરી આંખો અને ગૌર ત્વચાના કારણે તે ભડકાવનારું રૂપ ધરાવતી હતી. તે બાલિવૂડમાં ફિલ્મ અભિનેત્રી બનવા આવી હતી કે કોઈ ત્રાસવાદી સંગઠનની યોજના પાર પાડવા આવી હતી કે લૈલા સેક્સ રેકેટ ચલાવતી હતી કે કરોડોના હવાલા બિઝનેસ સાથે સંકળાયેલી હતી તે બધાં જ રહસ્યો તેના મોતની સાથે ધરબાઈ ગયાં છે. ૧૫ મહિના પહેલાં તે ગુમ થઈ ગઈ તે પહેલાં લૈલા ખાન બંગલા દેશના ત્રાસવાદી સંગઠન 'હરક્ત- ઉલ- જિહાદ'ના ત્રાસવાદી મુનીર ખાન સાથે પરણી હતી. તે દિવસથી તે રેશમા પટેલ મટીને લૈલા ખાન બની ગઈ હતી. લૈલાના પિતાનું નામ નાદીર શાહ પટેલ છે. શરૂઆતમાં તે પિતાની અટકથી ઓળખાતી હતી. તેની માતાનું નામ સલીના હતું. તેને બે બહેનો પણ હતી. તેની એક બહેનનું નામ અઝીમા પટેલ અને બીજી બહેનનું નામ હાશ્મીના હતું. આ બધા સંતાનો નાદ્દીર શાહ પટેલથી પેદા થયાં હતા.
મુંબઈ આવ્યા બાદ લૈલા ખાને બોલિવૂડના એક્ટર રાજેશ ખન્નાની સાથે 'વફા' ફિલ્મમાં કામ કર્યું હતું. લોકો કહે છે કે તેની મા પણ ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી. પાછળથી લૈલાની માતા સલીનાએ તેના પહેલા પતિ અને લૈલાના બાયોલોજિકલ પિતા નાદ્દીર શાહ પટેલથી છૂટાછેડા લઈ લીધા હતા. સલીના પટેલ નાદીર શાહ પટેલની પત્ની તરીકે રહેતી હતી તે દરમિયાન જ તે આસિફ શેખ નામના યુવાનને પ્રેમ કરવા લાગી હતી. નાદીર શાહ પટેલને છોડીને તે આસિફ શેખને પરણી ગઈ હતી. આસિફ શેખને પરણ્યા બાદ સલીના પટેલ આસિફ શેખના જ મિત્ર પરવેઝ ટાકના પ્રેમમાં પડી ગઈ હતી અને આસિફ શેખને છોડીને તે પરવેઝ ટાક સાથે પરણી ગઈ હતી. પરવેઝ ટાકને પરણ્યા બાદ સલીના પટેલ (૫૧ વર્ષ) તેનાથી અડધી ઉંમરના બે યુવાનો સાથે લફરાબાજીમાં પડી ગઈ હતી. પત્નીના અનેક પુરૂષો સાથેના આડા સંબંધો જાણ્યા બાદ પરવેઝ ટાક અને સલીના પટેલ વચ્ચે અનેકવાર ઝઘડો થતો હતો. પરવેઝ ટાક એક કાશ્મીરી મુસલમાન છે. સલીના પટેલનો પ્રથમ પતિ નાદીર શાહ પટેલ હાલ તેની બીજી પત્ની સાથે મીરાં રોડ પર રહે છે. તે ગારમેન્ટનો વેપારી છે. સલીના પટેલનો બીજીવારનો પતિ આસિફ શેખ લોખંડવાલા ગારમેન્ટ ટ્રેડરના અપહરણનો આરોપી છે અને હાલ સાવ ફાલતું જગ્યાએ રહે છે. સલીનાનો ત્રીજી વારનો પતિ પરવેઝ ટાંક ૩૫ વર્ષની વયનો જમ્મુ અને કાશ્મીરનો યુવાન છે. જમ્મુ અને કાશ્મીરમાં કેટલાંક અધિકારીઓ અને બે સ્ત્રીઓ સાથે લાખોની છેતરપિંડી કરીને મુંબઈ ભાગી આવ્યો હતો અને લૈલાની મમ્મી સલીના પટેલ સાથે ખાનગીમાં લગ્ન કરી લીધાં હતા. આમ નાદીર શાહ પટેલને છોડયા પછી સાવ ફાલતું વ્યક્તિઓ સાથે પરણ્યા બાદ પણ ગમે તે કારણ સર લૈલા ખાન અને તેની માતા સલીના પાસે કરોડોની સંપત્તિ આવી ગઈ હતી. મુંબઈમાં તેમની પાસે બે ફલેટ હતા. ઓશિવારામાં એક દુકાન હતી. નાસિક પાસે એક દુકાન હતી. નાસિક પાસે ઈગતપુરીમાં એક ફાર્મહાઉસ અને બંગલો પણ હતા.
સલીના પટેલ અવારનવાર દુબઈ જતી હતી. એક વાર દુબઈ જતાં પહેલાં સલીના પટેલે મુંબઈની તેની વિવાદાસ્પદ પ્રોપર્ટી અંગે તેના અગાઉના પતિ આસિફ શેખને એટર્ની હોલ્ડર બનાવવાનું નક્કી કર્યું હતું. આ વાતની જાણ થતાં પરવેઝ ટાક અને સલીના પટેલ વચ્ચે જબરદસ્ત ઝઘડો થયો હતો. દિલ્હીની પોલીસ બીજા કેટલાંક કેસોમાં પોલીસ જેમને શોધી રહી હતી તેવા શાકિર હુસેન અને પરવેઝ ટાક બેઉ કાશ્મીરના કિશ્તયર જિલ્લાના ભુજ્જવાહ ગામના વતની છે. પરવેઝના કહેવાથી જ સલીના પટેલે શાકિર હુસેનને ઈગતપુરીના ફાર્મહાઉસ ખાતે વોચમેન તરીકે નોકરી પર રાખ્યો હતો. તા.૩૦ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ સલીના પટેલ, લૈલા ખાન તેની બહેન હાશ્મીના અને તેનાં બે બાળકો ઈમરાન, ઝારા તથા કમીન રેશ્મા મુંબઈથી ડ્રાઈવ કરીને કારમાં ૧૪૬ કિલોમીટર દૂર આવેલા ઈગતપુરી (નાસિક) ખાતેના બંગલો પર ગયા હતા. તા. ૯મી ફેબ્રુઆરી, ૨૦૧૧ના રોજ સલીના પટેલે તેની બહેન અલ્બાના પટેલને ફોન કરીને જાણ કરી હતી કે તે તેના ત્રીજા પતિ પરવેઝ ટાક સાથે ચંદીગઢમાં છે. તે પછી સલીના પટેલ, લૈલા ખાન અને આખું યે પરિવાર સંપર્ક વિહોણું થઈ ગયું હતું. સલીના પટેલના પ્રથમ પતિ અને લૈલા ખાનના બાયોલોજિકલ પિતા નાદીર શાહ પટેલને શંકા જતાં તેમણે મુંબઈ પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે, 'મારી દીકરી લૈલા ખાન અને પરિવારનાં બીજાં સભ્યો ગૂમ થઈ ગયાં છે. એ જ પ્રકારની બીજી એક ફરિયાદ બોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર રાકેશ સાવંતે પણ લૈલા ખાનના ગુમ થવા અંગે નોંધાવી હતી. કારણ કે લૈલા ખાન તેમની ફિલ્મ ''જન્નત''માં અભિનેત્રી હતી.
નાદીર શાહ પટેલની પૂછપરછના આધારે પોલીસને પહેલો શક પરવેઝ ટાક અને આસિફ શેખ પર ગયો હતો. આ બંને લૈલાની મમ્મી સલીના પટેલના વર્તમાન અને પૂર્વ પતિ હતા. દરમિયાન બન્યું એવું કે પરવેઝ ટાક બીજા એક કેસમાં જમ્મુ અને કાશ્મીરની પોલીસ દ્વારા તા.૨૧, જૂન, ૨૦૧૨ના રોજ જમ્મુમાં પકડાઈ ગયો. પરવેઝ ટાક અને તેનો મિત્ર શાકિર હુસેન દિલ્હીના બીજા એક કેસના આરોપી હતા. પરવેઝ ટાંક વોન્ટેડ હોઈ દિલ્હીની પોલીસે મુંબઈની પોલીસને જાણ કરતા મુંબઈની પોલીસ પરવેઝ ટાંકને મુંબઈ લઈ આવી હતી. પૂછપરછ દરમિયાન પરવેઝ ટાકે કબૂલ કર્યું હતું કે, ''મેં જ લૈલા ખાન, સલીના પટેલ અને તેમના પરિવારજનોની ઈગતપુરીના ફાર્મહાઉસમાં હત્યા કરી નાંખી છે. સલીના પટેલ વારંવાર મારું અપમાન કરતી હતી. સલીના પટેલ મને રસોઈ બનાવવાનું તથા ડ્રાઈવિંગ કરવાનું ફાલતું કામ કરવા હુકમો કરતી હતી. આ બધું તો હું સહન કરતો હતો પણ તેનો બીજા યુવાનો સાથે આડો સંબંધ છે તે વાતની જાણ થયા બાદ હું તે સહન કરવા તૈયાર નહોતો. એ દિવસે મારી અને સલીના પટેલ વચ્ચે જબરદસ્ત ઝઘડો થયો હતો. મેં સલીના પટેલના માથામાં લોખંડનો સળિયો ફટકાર્યો હતો. આ બૂમાબૂમ સાંભળી લૈલા ખાન અને ઘરના બીજાં સભ્યો બહાર દોડી આવ્યાં હતા. હું ગભરાઈ ગયો હતો. મેં વોચમેન શાકિર હુસેનને મદદ માટે બોલાવ્યો અને સલિના પટેલને સળિયા ફટકારી મારી નાંખી. આ દૃશ્ય જોનાર બીજાં સાક્ષીઓ લૈલા ખાન અને બીજાં બધાની પણ મેં હત્યા કરી નાંખી. ઈગતપુરીના ફાર્મહાઉસના કંપાઉન્ડમાં જ એક ખાડો કરી તમામ છ જણની લાશો દાટી દીધી. લૈલા ખાન બધું જોઈ ગઈ હોઈ મેં એની હત્યા કરી નાંખી હતી.''
પરવેઝ ટાક અગાઉ તેનાં નિવેદનો બદલતો રહેતો હતો પરંતુ તેના આ છેલ્લા નિવેદનને પણ ચકાસી લેવા પોલીસે ૨૫૦ પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી. પરવેઝ ટાકને ઈગતપુરી ફાર્મહાઉસ ખાતે લઈ જવામાં આવ્યો. બંગલાની પાછળની એક જગા પરવેઝે બતાવી. વરસતા વરસાદમાં એ જગાએ ખોદકામ કરવામાં આવ્યું અને પાંચ ફૂટ ઊંડેથી છ જેટલાં નરકંકાલો અને બેગમાં ભરેલાં વસ્ત્રો મળી આવ્યાં. એ નરકંકાલો હવે ડીએનએ ટેસ્ટ માટે ફોરેન્સિક લેબ.ને મોકલી આપવામાં આવશે. શાયદ એ કંકાલો લૈલા ખાન,તેની માતા સલીના પટેલ અને તેમનાં પરિવારજનોનાં જ હશે. અલબત્ત લૈલા ખાન, તેની માતા સલીના પટેલ અને બીજાં પરિવારજનોની હત્યા દેખાય છે અને પરવેઝે કરી છે તેટલી સરળ નથી. પરવેઝ ટાક, તેના મિત્ર શાકિર હુસેન અને તેનો પાર્ટનર આસિફ શેખના સંબંધો પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠનો સાથે સંકળાયેલા હતા. લૈલા ખાન બાંગ્લાદેશના ત્રાસવાદી સંગઠન- લશ્કરના સભ્ય મુનીર ખાન સાથે પરણેલી હતી.લૈલા ખાનના સંબંધો પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે પણ હતા. દિલ્હીના બોમ્બ ધડાકામાં જે મિત્સુબીશી આઉટ લેન્ડર કાર વપરાઈ હતી તે લૈલા ખાનની મમ્મી સલીના પટેલના નામે રજિસ્ટર થયેલી હતી. આ કારમાં વિસ્ફોટક સામગ્રીની હેરાફેરી થઈ હતી. લૈલાનો બીજી વારનો પતિ પરવેઝ ટાક ખુદ લશ્કર-એ- તોઈબાનો સભ્ય હોવાની પોલીસને શંકા છે. લૈલા ખાન સ્વરૂપવાન હોવાના નાતે બહારથી લોકોને બતાવવા માટે જ ફિલ્મોમાં કામ કરતી હતી, હકીકતમાં તે મુંબઈ શહેરની વિસ્તૃત માહિતી આઈએસઆઈને મોકલતી હતી. જે કારમાં વિસ્ફોટકો લઈ જવાયા હતા તે કાર ભલે તેની માતાના નામે હતી પરંતુ હકીકતમાં તે કારની અસલી માલિકણ લૈલા ખાન જ હતી. સહુથી રહસ્યમય વાત એ છે કે, લૈલા ખાન, તેની માતા સલીના પટેલ અને તેનાં પરિવારજનોની જે ફાર્મહાઉસમાં હત્યા થઈ તે બંગલો હત્યા બાદ સળગાવી દેવામાં આવ્યો હતો. હત્યારાઓને બંગલો સળગાવી દેવામાં શું રસ? કયા પુરાવા નાશ કરવા ફાર્મનો આખો બંગલો સળગાવી દેવાયો ? આશ્ચર્યની વાત એ છે કે લૈલા ખાનના મુંબઈના બંગલામાંથી એક હજારથી વધુ ફોટોગ્રાફસ મળ્યા છે, જેમાં લૈલા ખાનની મહારાષ્ટ્રના અનેક રાજકારણીઓ, મોટા અધિકારીઓ અને પોલીસ અફસરો સાથે તસ્વીરો છે. લૈલા ખાન અને તેની માતા સલીના પટેલને મુંબઈના ઘણા પોલીસ અધિકારીઓ સાથે શારીરિક સંબંધો પણ હતા. એ સંબંધો બદલ લૈલા ખાન અને સલીના પટેલ પૈસા પડાવતાં હતાં કે દેશ વિરોધી માહિતી ? અઝમલ કસાબની જેમ લૈલા ખાન અને સલીના પટેલ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાના કાવતરાનાં રહસ્યો ઉલેચી ના નાંખે તે માટે તો પરવેઝ ટાંક અને શાકિર હુસેનનો ઉપયોગ થયો નથી ને ? લૈલા ખાન અને સલીના પટેલની હત્યા કોઈ પુરાવાના નાશ માટે આંતરરાષ્ટ્રીય સાજીશ તો નથી ને ? શું લૈલા ખાનની ખતરનાક નીલી આંખો પાકિસ્તાન માટે તો કામ કરતી હતી ? લૈલા ખાન, સલીના પટેલ અને તેના પરિવારની હત્યા બાદ આ રૂપાળા ચહેરાઓના ટેરરિસ્ટ કનેક્શનનું રહસ્ય પણ હવે ઈગતપુરીના ફાર્મહાઉસમાં દફન થઈ ગયું છે.

Comments