મનહર રવૈયા: આંધળો વિશ્વાસ



ઇન્ટિરિયર ડેકોરેટરનો કોર્સ કરી રહેલી સલોની કોલેજથી ઘરે પરત આવતાં રસ્તામાંથી ગુમ થઈ ગઈ હતી. જેમની તપાસ પંદર દિવસથી પોલીસ ચલાવી રહી હતી. પોલીસ સબ ઇન્સપેક્ટર આર. કે. રાઠોડ રાત-દિવસની પરવાર કર્યા વગર સલોનીની શોધ કરી રહ્યા હતા, પરંતુ સલોનીનો કોઈ પત્તો મળ્યો ન હતો. રાઠોડ સાહેબ જેવા બાહોશ માણસે જોકે સલોનીનો પત્તો મેળવા કોઈ યુક્તિ બાકી નહોતી રાખી. એમના કહેવા પ્રમાણે કેસ હવે અપહરણનો ન હતો કારણ હજી સુધી કોઈ ખંડણીનો ફોન કે ચિઢ્ઢી મળ્યાં ન હતાં. એણે કેટલાય લોકોની પૂછપરછ કરી, પણ સલોનીનું પગેરુ મળતું ન હતું અને ઉપરથી કેસ સોલ્વ કરવા દબાણ હતું.

રાઠોડ સાહેબ તંગ આવી ગયા હતા. એક તરફથી ટી.વી. અને મીડિયાના સવાલો કામ કરવા દેતા નહોતા. આથી હવે ક્યાંથી શરૂઆત કરવી એ વિચારતાં રાઠોડ સાહેબ સલોનીની ફાઈલનો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે ‘ઝવેરી કોલેજથી સલોની એની બહેનપણી માલા અને અનુરાધા સાથે ઘરે આવી રહી હતી. ત્યારે રસ્તામાં એક હેલમેટ પહેરેલો માણસ ત્યાં બાઇક લઈને આવ્યો એણે બાઇક સલોની પાસે ઊભું રાખ્યું અને પાછળ બેસી જવા કહ્યું. સલોની એની પાછળ બેસી ગઈ અને પેલાનો પરિચય આપતાં કહ્યું કે અમારા પેઇંગગેસ્ટ વીરેન્દ્રજી છે. બસ, બાઇક પર ગયા બાદ સલોનીનો કોઈ પત્તો નથી. એનો મોબાઇલ પણ બંધ છે.’

આ વીરેન્દ્રજી જોધપુરી એટલે સલોનીની મમ્મી વનલત્તાબહેનનો દૂરનો સગો હતો. રાજસ્થાનથી અહીં નોકરી કરવા આવ્યો હતો. ગૃહસ્થ હતો, પણ એની પત્ની વતનમાં રહેતી હતી કારણ વીરેન્દ્રજીનાં માતા-પિતા બીમાર હતાં. એની સેવા-ચાકરી કરવાવાળું કોઈ હતું નહીં. તેથી સલોનીના ઘરે જ પેઇંગ ગેસ્ટ તરીકે એ રહેતો હતો.

ગુણવંત રાયને બે પુત્રીઓ હતી. એક રેખા જેને જામનગર પરણાવી હતી અને બીજી સલોની. હવે આ વીરેન્દ્રે ગુણવંતરાય અને વનલતાબહેનનું દિલ જીતી લીધું હતું. ઘરનું લાઇટબિલ ટેલિફોન બિલ તેમજ બેંકમાં જમા-ઉધાર કે પછી કોઈને લેવા મૂકવા જવું. એવાં બધાં કામ વીરેન્દ્ર દોડીને કરી આપતો હતો. આમ એ ગુણવંત રાયનો વિશ્વાસુ માણસ હતો. ટૂંકમાં વીરેન્દ્રને એ દીકરા સમાન ગણતા હતા.

આ વીરેન્દ્રને બે વખત પોલીસ સ્ટેશને બોલાવીને રાઠોડ સાહેબે પૂછપરછ કરી હતી અને બંને વખત એણે કહેલું કે એ દિવસે કોઈ દિવસ નહીં અને મારે સરદાર રોડ તરફ ઓફિસનું કામ હતું. એ પતાવીને હું પાછો ફરી રહ્યો હતો. ત્યાં જ સલોનીને મેં જોઈ. તેથી એણે કહ્યું ગરમી અને તાપ બહુ છે ચાલ તને ઘરે મૂકી જાઉં. પછી હું અને સલોની ઘર તરફ જઈ રહ્યાં હતાં ત્યાં દીવાન ચોક પાસે મારે ઓફિસેથી સાહેબનો ફોન આવ્યો. જરૂરી કામ હતું. એટલે સલોની કહે મને અહીં જ ઉતારી દો. હું રિક્ષામાં જતી રહીશ. મારે ઉતાવળ હતી. મેં એને દીવાન ચોકમાં જ ઉતારી દીધી અને હું પાછો વળ્યો હતો.

ટૂંકમાં સલોનીનો કેસ આંધળી ગલીમાં અટવાઇ ગયો હતો. સમય સાથે જનાક્રોશ પણ વધી રહ્યો હતો. ફાઈલમાં એક મુદ્દો એમની નજરમાં આવતાં રાઠોડ સાહેબ મૂડમાં આવી ગયા.એમણે સલોનીનો મોબાઇલ નંબર કંપનીના સર્વિસ પ્રોવાઇડરને આપીને કહ્યું કે આ નંબર પરથી છેલ્લો ફોન ક્યા નંબર પર થયેલો અને એ સમયનું ચોક્કસ લોકેશન કર્યું હતું એની માહિતી આપો.પછી સલોનીની કોલેજની મુલાકાત લઈ રાઠોડ સાહેબે સલોનીની બહેનપણી માલા અને અનુરાધાનાં એડ્રેસ લીધાં.

એ બંનેમાં અનુરાધા સલોનીની ખાસ સહેલી મળી આવી. એને રાઠોડ સાહેબે પૂછ્યું, ‘અનુરાધા, તું સલોનીની નજીકની બહેનપણી છે. તો તને તો જાણકારી હશે જ. શું સલોની કોઈના પ્રેમમાં હતી? કે કોઈની સાથે અણબનાવ ખરો?’‘ના સાહેબ, એને કોઈની સાથે અણબનાવ નહોતો, પણ હા, અફેયર હતું. હવે કોની સાથે હતું એ એણે ક્યારેય કહ્યું નહોતું કે ન તો ક્યારેય મુલાકાત કરાવેલી. બસ, એ તો એના મોબાઇલ પર વાતો કર્યા કરતી હતી. હા, વાત વાતમાં એ ફોન પર એને મુન્નો કહેતી હતી.

છેલ્લા ઘણા સમયથી સલોની ચિંતા અને તણાવમાં રહેતી ને કહેતી કે એને જેની સાથે પ્રેમ કર્યો છે. તન, મન અને ધન જેને સમર્પિત કર્યું છે એ અને પોતે ક્યારેય એક થઈ શકે એમ નથી. તેમાં એક સગપણ આડું આવે છે. ભલે અમારો પ્રેમ સાચો છે, પણ જગતની નજરે અમારો સંબંધ અનૈતિક છે. માટે હવે શું કરવું એ જ સવાલ છે. મારી તને ખાસ વિનંતી છે કે મહેરબાની કરીને આ વાત કોઈને કહેતી નહીં.’

અનુરાધાની વાત પરથી રાઠોડ સાહેબને સલોનીની તપાસ માટે એક નવી કડી મળી ગઈ અને પેલી મોબાઇલની માહિતીમાં સલોનીએ કરેલા છેલ્લા ફોનનું લોકેશન શહેરની બહાર ચિતોડી ડેમ વિસ્તાર હોવાનું બહાર આવ્યું.બસ, પછી તો રાઠોડ સાહેબ એની ટીમ અને ડોગ સ્કવોડ સાથે ડેમ વિસ્તારમાં આવી પહોંચ્યા. ડોગ સ્કવોડની મદદ દ્વારા ડેમના કાંઠે પોલીસે તપાસ કરી તો એક બાવળાના ઝૂંડ પાસે સલોનીની દટાયેલી લાશ મળી આવી.

ગુણવંતરાય અને વનલતાબહેનને લાશની ઓળખવા બોલાવ્યાં. લાશ સડી ગઈ હતી દુર્ગંધ મારતી હતી. સલોની એના કાનના એરિંગ પરથી ઓળખાઈ ગઈ. ત્યાં રાઠોડ સાહેબની બાજ નજર સલોનીના જમણા હાથની બંધ મુઢ્ઢી પર પડી. જોયું તો મુઢ્ઢીમાં સોનાની ઝીણી સેરવાળી જેન્ટ્સ ચેઇન હતી. એ ચેઇન ગુણવંત રાય જોતાં જ કહ્યું આ તો અમારા વીરેન્દ્રની છે. રાઠોડ સાહેબે તુરત જ પૂછ્યું, ‘અત્યારે વીરેન્દ્ર ક્યાં હશે?’

‘એની ઓફિસે.’ ઓફિસે પોલીસે રેડ પાડી તો વીરેન્દ્ર ભાગી છૂટ્યો હતો. ઘરે પણ નહોતો. આથી રાઠોડ સાહેબે શહેરમાં બહાર જતા દરેક રસ્તા પર નાકાબંધી કરતા વીરેન્દ્ર એની બાઇક સાથે ઝડપાઈ ગયો. પૂરપરછ કરતાં પહેલાં તો એ આનાકાની કરતો રહ્યો, પણ રાઠોડ સાહેબ સામે ટકી ન શક્યો. આખરે એણે કબૂલ કર્યું કે સલોની એને બેહદ પ્યાર કરતી. ધીરેધીરે મારાથી સંયમ ન રહ્યો. હું અને સલોની મર્યાદાનો ઉંબર વળોટી ગયાં.

બસ, પછી તો એકાંતમાં અવારનવાર મળવા લાગ્યાં. પરિણામ સ્વરૂપ સલોની ગર્ભવતી બની. ત્યારે મારું મન ડંખી રહ્યું કે મારાથી કશુંક ખોટું થઈ ગયું છે. સલોનીને ગર્ભપાત માટે ખૂબ જ સમજાવી, પણ એ માની નહીં. એને તો મારી સાથે જ લગ્ન કરવાં હતાં. એ હઠ લઈને બેઠી હતી.ત્યારે મેં એનાથી છુટકારો મેળવવા માટે સલોનીની હત્યા કરી છે.ત્યારે રડી રડીને જેની આંખો સૂઝી ગઈ હતી એવાં વનલતાબહેન ગુણવંતરાયને કહી રહ્યાં, ‘જોયુંને આપણા આંધળા વિશ્વાસનું ફળ...

Comments